બાળકોમાં ડાયાબિટીસનું જોખમ ઘટાડવા શાળામાં સુગર બોર્ડ લાગશે
ખાંડના વધુ પડતા સેવનથી થતા જોખમ સામે સેમિનાર અને વર્કશોપ યોજવા તાકીદ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
બાળકોમાં ખાંડના સેવનનું નિરીક્ષણ કરવા અને ઘટાડો કરવા માટે સ્કૂલોમાં સુગર બોર્ડની સ્થાપના કરવા બાબતે ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને આદેશ કર્યો છે. જે મુજબ તમામ સ્કૂલોમાં વિવિધ ખાદ્ય પદાર્થો અને પીણાંમાં કેટલી માત્રામાં સુગર હોય છે તેનાથી બાળકોને અવગત કરાવાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડેના જણાવ્યાનુસાર બાળકોમાં ટાઈપ-2 ડાયબિટીસનું પ્રમાણ વધ્યુ છે. વધુ પડતા ખાંડના સેવનને લીધે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. જેથી સુગરનો વધુ પડતો વપરાશ ઘટાડવા અને બાળકોમાં દાંતની સમસ્યાઓ ઘટાડવા તેમજ મેટાબોલિક વિકૃતિઓમાં પણ ઘટાડો કરવા માટે સ્કૂલોમાં સુગર બોર્ડ બનવુ જોઈએ. 4થી 10 વર્ષની વયના બાળકો દૈનિક કેલેરીમાં 13 ટકા જેટલી અને 11થી 18 વર્ષના બાળકો 15 ટકા જેટલી સુગરનો ઉપયોગ કરે છે. જે ઘટાડીને પાંચ ટકા થવો જોઈએ. દરેક સ્કૂલમાં સુગર બોર્ડ યોગ્ય જગ્યાએ લગાવવામા આવવુ જોઈએ. જેમા વિદ્યાર્થીઓને વધુ પડતી ખાંડના સેવવના જોખમો વિશેની માહિતી આપવામા આવે. બોર્ડમાં દૈનિક ખાંડનું સેવન, સામાન્ય રીતે ખાવામા આવતા ખોરાકમાં ખાંડનું પ્રમાણ, વધુ પડતી સુગરથી સ્વાસ્થ્યને થતા જોખમો વગેરે સહિતની માહિતી આપવાની રહેશે. દરેક સ્કૂલોએ આ મુદ્દે સેમિનાર-વર્કશોપ પણ યોજવાના રહેશે. શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલોમાં આ ગાઈડલાઈન-સૂચનાઓનો અમલ કરાવવા આદેશ કર્યો છે. મહત્ત્વનું છે કે અગાઉ સીબીએસઈ દ્વારા મે મહિનામાં સીબીએસઈ સ્કૂલોને પણ આ માટે સૂચના આપવામા આવી હતી.
