રોબિન સિંહ અગાઉ ગુજરાત સરકારના પાયલોટ હતા
વડોદરા: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરૂવારે ખાનગી કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ. આ અકસ્માતમાં એક પાયલોટ સહિત 5નાં કરુણ મોત નિપજ્યાં હતા.આ ગમખ્વાર દુર્ઘટના દરમિયાન હેલિકોપ્ટરમાં પાયલોટ સાથે 6 મુસાફરો સવાર હતા. અકસ્માતના પગલે એક મુસાફરને ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે આ અકસ્માત ઉત્તરકાશીના ગંગનાનીના દુર્ગમ વિસ્તારમાં માં થયો હતો. હેલિકોપ્ટર યાત્રિકોને લઈને ગંગોત્રી ધામ જઇ રહ્યું હતુ. આ અકસ્માતમાં વડોદરાના પાયલોટનું મોત થયું છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલા મિલેટ્રી ના ઇએમઇ કેમ્પસ નજીક રહેતા આશરે 59 વર્ષીય રોબિન સિંહ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એરો ટ્રાન્સ કંપનીમાં પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમનો પરિવાર વડોદરા ખાતે રહે છે. આજે સવારે બનેલી દુર્ઘટનાની જાણ પરિવારને થતા તેઓ તુરંત ઉત્તરકાશી જવા રવાના થયા હતા. રોબિન સિંહ આ પહેલા ગુજરાત સરકારના હેલિકોપ્ટરના પાયલોટ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સ્થાનિક રિપોર્ટ અનુસાર હેલિકોપ્ટર દહેરાદૂનથી યાત્રાળુઓને લઇને ખરસલી તરફ જવા ઉડાન ભરી રહ્યું હતુ. આ તમામ મુસાફરો ચારધામ યાત્રા પર ગયા હતા. તેમને ખરસાલીથી દર્શનાર્થે પવિત્ર ગંગોત્રી ધામ જવાનું હતુ. ખાનગી કંપની એરો ટ્રાન્સનું આ હેલિકોપ્ટર હતુ. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવોસથી હવામાન ખરાબ છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં તોફાન અને વરસાદની ગંભીર ચેતવણી જાહેર કરી છે. ચારધામ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ હાલ પણ હળવો વરસાદ પડી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ ગાજવીજ વરસાદ સાથે બરફ ની વર્ષા વચ્ચે કરા પણ પડ્યાં છે. એક તરફ દુર્ગમ પહાડી વિસ્તારમાં ખરાબ હવામાનના કારણોસર હેલિકોપ્ટર તૂટી પડ્યું હોવાનું અનુમાન હાલમાં બચાવ ટુકડીઓ લગાવી રહી છે.
