વિવાદાસ્પદ વર્તન સામે ભાજપનું કડક પગલું : આશિષ જોષી અને અરવિંદ પ્રજાપતિને હાંકી કાઢ્યા
ભાજપે વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ સભાસદ આશિષ જોષીને પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્યપદમાંથી બરખાસ્ત કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીની શિસ્તનો ભંગ અને સતત ચેતવણીઓ છતાં અણસુધરાયેલ વર્તન સામે પગલાં રૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા ૮ મે, ૨૦૨૫ ના રોજ સત્તાવાર પત્ર દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો. પત્ર અનુસાર, આશિષ જોષીને અનેક વખત મૌખિક તેમજ લેખિત ચેતવણીઓ અપાયેલી હોવા છતાં તેમનાં વર્તનમાં સુધારો જોવા મળ્યો નહોતો. પક્ષની છબી બગાડે તેવા વર્તન અને પ્રવૃત્તિઓમાં તેમના સંડોવણીના પુરાવા છાપાં અને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલા હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ છે. પ્રદેશ અધ્યક્ષની સૂચના બાદ શહેર અધ્યક્ષ દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે.

અરવિંદ પ્રજાપતિએ વડોદરાના વોર્ડ નં. 2ના પૂર્વ કાઉન્સિલર તરીકે, તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સિગરેટ પીતા ફોટો પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટને લઈને ભારે વિરોધ થયો છે, કારણ કે મોદીને તેમના સમર્થકો વિશ્વ ગુરુ , મહાન નેતા માનતા હોય ત્યારે પૂર્વ કોર્પોરેટર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી ના એડિટ કરેલા ફોટા મુકતા વિવાદ વકર્યો હતો. જે બાદ પાર્ટીએ અરવિંદ પ્રજાપતિ વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી કરી પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.

